
ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો.
ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઈઓ ઓરમાયા હતા એવો ખ્યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. અામાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્લા તુલસીદાસ ગાંધી. બંને ભાઈએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરમાં કારભારું છોડ્યા પછી પોતે રાજસ્થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્શનર હતા.
કબા ગાંધીને એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઈથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું.
કબા ગાંધી
પિતા કબા ગાંધી કુટુંબપ્રેમી, સત્યપ્રિય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા. રાજ્યના બહુ વફાદાર હતા. પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમ ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.
પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસ-ભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્યવહારનું જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્રોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી હે તે તેમને હતું. છેવટના વર્ષમાં કુટુંબના મિત્ર અને વિદ્વાન બ્રાહ્મણની સલાહથી ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ પોતાના પૂજાના સમયે થોડાઘણા શ્લોકો ઊંચે સ્વરે પાઠ કરી જતા.
પૂતળીબાઈ
મા પૂતળીબાઈ સાધ્વી સ્ત્રી હતી. તે બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને યાદ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એક સમય તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું. તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી, એટલેથી સંતોષ વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, 'બા, બા સૂરજ દેખાયો' કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. 'કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય' કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.
મારો જન્મ
આ માતાપિતાને ત્યાં હું સંવત 1925ના ભાદરવા વદ 12ને દિવસે એટલે સને 1869ના ઓક્ટોબરની 2જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો.
બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્કેલીથી પાડા શીખેલો. તે કાળે છોકરીઓની સાથે હું મહેતાજીને ગાળો દેતાં શીખેલો એટલું યાદ છે. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ તે સમયે મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડ જેવી હશે.
અટકી કેમ ગયા? ચાલુ રાખો. આ બ્લૉગની બહુ જરૂર છે, આજે. કામકાજ કહેશો. હું પણ તમને સામગ્રી આપી શકીશ.
ReplyDelete